ગુજરાતમાં પણ મત ગણતરી શરૂઃ 26માંથી 25 બેઠકો માટે એક સાથે મતગણતરી શરૂ થઇ, અમિતભાઇ શાહ સૌથી આગળ
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan04062024_033503_Gujarat 22.webp)
- 04 Jun, 2024
ગુજરાતમાં પણ 25 બેઠકોની મતગણતરી જે તે શહેરમાં અને જે તે જિલ્લાના મુખ્ય મથકે કડક બંદોબસ્ત સાથે શરૂ થઇ છે. ગુજરાતની 25 લોકસભા બેઠકો પર પોસ્ટલ બેલેટની મતગણતરી શરૂ થઈ ગઈ છે. ગાંધીનગર બેઠક પરથી ગૃહમંત્રી અમિતભાઇ શાહ શરૂઆતથી આગળ ચાલી રહ્યાં છે અને તેઓ 10 લાખની મતોની સરસાઇથી જીતશે એવો દાવો તેમના ટેકેદારો દ્વારા કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે. ત્રીજા તબક્કામાં 7 મેના રોજ અહીં 25 બેઠકો પર મતદાન થયું હતું. સુરત બેઠક પર ચૂંટણી યોજાઈ ન હતી કારણ કે વિપક્ષી ઉમેદવારો દ્વારા નામાંકન પરત ખેંચવાને કારણે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે બિનહરીફ ચૂંટણી જીતી હતી. આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ રાજ્યમાં 'ઈન્ડિયા એલાયન્સ' હેઠળ સાથે મળીને ચૂંટણી લડી હતી. આમ આદમી પાર્ટીએ ભરૂચ અને ભાવનગરની બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જ્યારે બાકીની 23 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. અહીંની સૌથી ગરમ બેઠક ગાંધીનગર છે જ્યાંથી ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી લડ્યા હતા. તેમની સ્પર્ધા કોંગ્રેસના સોનલ પટેલ સાથે છે.
2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં તમામ 26 બેઠકો જીતી હતી. કોંગ્રેસ ગુજરાતમાં એક પણ બેઠક મેળવી શકી નથી. ગુજરાતમાં ભાજપે 2014માં પણ તમામ 26 લોકસભા બેઠકો જીતી હતી. જોકે, 2024ની ચૂંટણી છેલ્લી બે ચૂંટણીઓ કરતાં થોડી અલગ છે. આ વખતે પણ ભાજપને લોકસભાની તમામ બેઠકો જીતવાનો મોટો પડકાર છે. આજે, મંગળવાર, 4 જૂન, મતગણતરી દરમિયાન, સ્પષ્ટ થશે કે ભાજપ અહીં 2019 ના લોકસભા પરિણામોનું પુનરાવર્તન કરશે કે કોંગ્રેસ તેના કિલ્લાને તોડવામાં સફળ થશે.
દરમિયાનમાં, 19 એપ્રિલથી શરૂ થયેલી 18મી લોકસભાની ચૂંટણીઓ માટે સાત કોઠા સમાન સાત તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ છે અને હવે સૌની નજર પરિણામ પર ટકેલી છે. દરેક તબક્કામાં સરેરાશ 60 ટકાની આસપાસ મતદાન થયું છે. જોકે બંગાળમાં સૌથી વધારે 70 ટકાની ઉપર મતદાન થયું છે. કુલ 543 બેઠકો માટે 8,000 કરતા વધુ ઉમેદવારો મેદાનમાં હતા. 97 કરોડ મતદારોમાંથી અંદાજે 32 કરોડ મતદારો મતદાનથી દૂર રહ્યાં છે અને 60થી 62 કરોડ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે.
હિટવેવ અને ભીષ્ણ ગરમીમાં કદાચ પહેલીવાર આ ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં સંખ્યાબંધ ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ પણ નિધન પામ્યા હતા. ભીષણ ગરમીને જોતા આગામી ચૂંટણીઓ એપ્રિલ-મેમાં યોજવી કે કેમ તેના વિશે પણ વિચારણ થઈ શકે. આ ચૂંટણીઓમાં પ્રચારના કોઈ એક મુદ્દાને બદલે દરેક તબક્કામાં અલગ-અલગ મુદ્દા જોવા મળ્યાં હતા. જેમાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસના રાહુલ ગાંધી અને કોંગ્રેસના મેનિફેસ્ટોને નિશાન બનાવી પ્રહારો કર્યા હતા.
2024ની ચૂંટણીમાં પહેલીવાર વિપક્ષોએ ગઠબંધન બનાવ્યું હતું. કોંગ્રેસના નેતૃત્વમાં ઈન્ડિયા એલાયન્સ નામના મોરચાની સ્થાપના કરી હતી અને તેના નેજા હેઠળ કોંગ્રેસ, સપા, આપ વગેરે પાર્ટીએ બેઠકોની સમજૂતી કરી હતી. આ ચૂંટણીમાં એવું પહેલીવાર થયું કે 2014 અને 2019ની જેમ કોઈ પણ વેવ કે મોદી લહેર કે કોઈ એક મુદ્દા પર ચૂંટણીઓ યોજાઈ નથી. કોંગ્રેસે અને સપાએ બંધારણ બચાવોને મુખ્ય મુદ્દો બનાવી અદાણી સહિતના 22 અબજોપતિને નિશાન બનાવ્યા હતા. તો સામે પક્ષે વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ અને વિપક્ષ સત્તામાં આવશે તો ગરીબ પરિવારોના મંગળસૂત્ર સહિત તમામ છીનવી લેશે અને ઘુસણખોર તથા મુસ્લિમોને આપી દેશે તેવો મુદ્દો ચગાવ્યો હતો. આ ચૂંટણીમાં વડાપ્રધાન મોદીનું એ રૂપ પણ જોવા મળ્યું કે જેમાં તેમણે એક તબક્કે એમ કહ્યું કે એમનો જ જન્મ જ થયો નથી, તેમને પરમાત્માએ સીધા મોકલ્યા છે. આ ચૂંટણીમાં વિરોધપક્ષોએ મુખ્યપ્રવાહના મીડિયાને પણ નિશાન બનાવી આક્ષેપો કર્યા હતા.